
તા.૨૩.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:દાહોદમાં ભાજપને મોટો ઝટકો, ‘આપ’નો દબદબો, બે ભાજપના ચાલ્લુ સરપંચો ભાજપ છોડી આપમાં જોડાયા
દાહોદમાં ‘ગુજરાત જોડો અભિયાન’નો સપાટો: ભાજપના ગઢમાં ગાબડું, ચૈતર વસાવાની હાજરીમાં સરપંચોએ ધારણ કર્યો ઝાડુનો સાથ દાહોદ જિલ્લાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા જ દાહોદમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના સૂપડા સાફ કરવાની તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે. આજે ભાજપના શાસનથી કંટાળીને વધુ બે દિગ્ગજ નેતાઓ ‘આપ’માં જોડાયા છે.”દાહોદ જિલ્લામાં અત્યારે આમ આદમી પાર્ટીનો મેળો જામ્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભાજપને જોરદાર પછડાટ મળી છે. કાળીમહુડી ગામના સરપંચ નિનામા પ્રતાપભાઈ અને લીલવાદેવા ગામના સરપંચ મનોજભાઈ ભાભોરએ આજે કેસરીયો છોડીને ‘ઝાડુ’ પકડ્યું છે. આ બંને સરપંચોએ ભાજપની કાર્યશૈલીથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.આ સમગ્ર પલટા પાછળ દાહોદ જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ડામોરની કુનેહપૂર્વકની રણનીતિ કામ કરી ગઈ છે. કોંગ્રેસ અત્યારે સાઈડલાઈન થતી જોવા મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી સીધી જ ભાજપના મજબૂત મતના ગઢમાં ગાબડાં પાડી રહી છે. ચૈતર વસાવાએ જે રીતે આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરી છે, તેનાથી સત્તાધારી પક્ષના નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.સ્થાનિક સરપંચોનું આમ આદમી પાર્ટીમાં જોડાવું એ આવનારી ચૂંટણીઓ માટે મોટા સંકેત આપી રહ્યું છે. શું દાહોદમાં ભાજપ આ નુકસાનની ભરપાઈ કરી શકશે? કે પછી આમ આદમી પાર્ટી આ રીતે જ એક પછી એક ગઢ જીતતી રહેશે? એ તો સમય જ બતાવશે.





