૩-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- રાજ્ય સરકારના કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. આંદોલન વચ્ચે સરકારશ્રી દ્વારા પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી પડતર પ્રશ્નોના ઉકેલ-સમાધાન માટે તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મહદ્અંશે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ. પરંતુ કર્મચારીઓના મહત્વના બે પ્રશ્નો (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત અને (૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા બાબત.આ મુખ્ય બે પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધની તાજેતરમાં તા.૩૦/૭/૨૦૨૩ને રવિવારના રોજ કરમસદ, જિ.આણંદ ખાતે મળેલ કાર્યવાહક (સંકલન) સભામાં પ્રશ્નોના નિરાકરણ માટે લડત કાર્યક્રમ આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.જે મુજબ આગામી તારીખઃ ૧૯/૮/૨૦૨૩ તાલુકા-જિલ્લા લેવલે ઉપર જણાવેલ મુખ્ય બે પ્રશ્નો સાથે ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી અને કલેકટરશ્રીને આવેદનપત્ર આપવા અને તારીખઃ ૧૬/૯/૨૦૨૩ – તાલુકા-જિલ્લા લેવલે સાંજે ૬ થી ૭ કલાકે સમાધાન મુજબના બે પ્રશ્નોના ઉકેલ માટે સમૂહમાં એકઠા થઈ આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં મીણબત્તી-દીપ જલાવી, થાળી વગાડી સરકારશ્રીને પ્રશ્નો યાદ કરાવવાનો કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલની યાદીમાં જણાવાયું છે.