
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી રોડ રેલવે સ્ટેશને વંદેભારત સહિત ટ્રેનોના સ્ટોપેજ મુદ્દે કોંગ્રેસની માંગ.
પાર્સલ, પીઆરએસ, પાર્કિંગ, પ્લેટફોર્મ શેડ, સીસી ટીવી કેમેરા સહિત સુવિધાઓ ની માંગણી.
અરવલ્લી જિલ્લાનું શામળાજી રોડ રેલવે સ્ટેશન સમગ્ર વિસ્તાર માટે એકમાત્ર મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન હોવા છતાં વર્ષોથી અહીં ટ્રેનોના સ્ટોપેજ અને મૂળભૂત સુવિધાઓના અભાવે જિલ્લાના હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે રેલવે તંત્ર સમક્ષ જિલ્લાના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
તેમણે જણાવ્યું છે કે શામળાજી રોડ સ્ટેશન પર અસારવા–કોટા (Train No. 19821) ટ્રેનનું તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવે તેમજ નવી શરૂ થનાર અસારવા–ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ (Train No. 26963)નું પણ અહીં સ્ટોપેજ આપવામાં આવે, જેથી જિલ્લાના લોકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે.
અરૂણભાઈ પટેલે વધુમાં મુસાફરોની સુવિધા માટે આ સ્ટેશન પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) સેવા શરૂ કરવાની, પ્લેટફોર્મ પર પૂરતા પ્રમાણમાં શેડ અને બેઠકો વધારવાની, સીસીટીવી તેમજ સ્થાનિક વેપારીઓના હિત માટે પાર્સલ કાઉન્ટર શરૂ કરવાની માંગ કરી છે. ઉપરાંત પાર્કિંગ વિસ્તારમાં સ્વચ્છતા અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી ખૂબ જરૂરી છે.
સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા સુધારવા માટે હાઈવે થી સ્ટેશન સુધીનો માર્ગ પહોળો કરવામાં આવે અને મુસાફરોને સરળતા રહે તે માટે સ્પષ્ટ અને મોટા માર્ગદર્શક સાઇન બોર્ડ લગાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.અરૂણભાઈ પટેલે જણાવ્યું કે અરવલ્લી જિલ્લો મુખ્યત્વે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તાર ધરાવે છે, જ્યાંથી રોજિંદા હજારો લોકો શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને વ્યવસાય માટે મુસાફરી કરે છે. શામળાજી ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. છતાં પણ શામળાજી રોડ સ્ટેશનની અવગણના જિલ્લાના વિકાસ માટે અવરોધરૂપ બની રહે છે. રેલવે મંત્રાલય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ , કલેકટરશ્રી ને તમામ માંગણીઓ પર તાત્કાલિક સકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લાના લોકોના હિત માટે લોકતંત્રના માર્ગે આંદોલન અને આગળના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.





