
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા જાહેર માર્ગ પર સ્થાપિત કરવાની કોંગ્રેસની માંગ.કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સોપાયું
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસા શહેરમાં રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ જાહેર માર્ગ પરની વ્યસ્ત અને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવા બાબતે જિલ્લા કલેક્ટર, અરવલ્લી તથા મોડાસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ને આવેદનપત્ર સોપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક મોડાસા છે અને વર્ષ ૨૦૧૪માં જિલ્લા રચના થયા બાદ શહેરના વિવિધ ચાર રસ્તાઓ પર અનેક મહાનુભાવોના સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યા છે. પરંતુ અત્યંત દુઃખદ બાબત એ છે કે દેશને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ આજદિન સુધી મોડાસા શહેરમાં જાહેર માર્ગ પર, જ્યાં લોકોની સતત અવરજવર રહે છે, તેવી કોઈપણ યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું નથી.વધુમાં જણાવ્યું હતું કે આ બાબત માત્ર એક પ્રતિમાની નથી, પરંતુ ગાંધીજીના વિચાર, સત્ય, અહિંસા અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો પ્રત્યેની જનભાવનાની છે. સમગ્ર મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લાની લાગણીને ધ્યાનમાં લઈને ગાંધીજીની પ્રતિમા જાહેર માર્ગ પરની વ્યસ્ત જગ્યાએ તાત્કાલિક જગ્યા ફાળવી સ્થાપનાની પ્રક્રિયા સત્વરે શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસ સમિતિની દૃઢ માંગ છે. જો નગરપાલિકા મહાત્મા ગાંધીજીની પ્રતિમા બનાવવા સક્ષમ ના હોય તો કોંગ્રેસને જગ્યા ફાળવી મંજૂરી આપવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આ પ્રતિમા બનાવડાવી સ્થાપિત કરવામાં આવશે.




