
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી–ખેરગામ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હોવા છતાં હવે તેની બાજુમાં ચાલતું બોર્ડર કામ ખુલ્લા ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. બોર્ડર પૂરવા માટે મોરમ અથવા કડક માટીનો ઉપયોગ કરવાની નિયમિત જરૂરિયાત હોવા છતાં, તંત્ર દ્વારા બાજુમાંથી જ ખાડા ખોદી મંટોળુ માટી ભરીને કામ કરવામાં આવી રહ્યું છે.આ પ્રકારનું કામ માત્ર બેદરકારી નહીં પરંતુ જનતાના પૈસાની ખુલ્લી બરબાદી ગણાય. વરસાદી મોસમમાં આ મંટોળુ કાદવ બનીને ધોવાઈ જશે અને આખું બોર્ડર તૂટી પડવાની પૂરી શક્યતા છે, જે માર્ગ પર અકસ્માતોનું કારણ પણ બની શકે છે.સ્થાનિક આગેવાનો દ્વારા આ ગેરરીતિનો વિરોધ કરતાં જીસીબી મશીનોને અટકાવવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે કામમાં ગંભીર ખામીઓ છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય સ્પષ્ટતા કે કાર્યવાહી જોવા મળી નથી. પ્રશ્ન એ છે કે—શું તંત્ર આ પ્રકારની બેદરકારીને પ્રોત્સાહન આપી રહ્યું છે? કે પછી આ બધું ભ્રષ્ટાચારને ઢાંકવાનો જ એક ષડયંત્ર છે?જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.



