
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સાકરીયા ભીડભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, હજારો ભક્તો દર્શને ઉમટ્યા
ચૈત્ર સુદ પૂર્ણિમાના પાવન દિવસે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભાવભીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે બિરાજમાન પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી મંદિરે પણ ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ હજારો ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મંદિરમાં જયકારોના ગુંજતા નાદ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો.વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં આરામ અવસ્થામાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ માત્ર બે જ સ્થળોએ જોવા મળે છે, જેમાં સાકરીયા ગામે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરનું વિશેષ મહત્વ છે. હનુમાન જયંતિ નિમિત્તે અહીં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરે આખો દિવસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 100થી વધુ દંપતિઓ બિરાજમાન થઈ ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ લાભ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ ભીડભંજન હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. આગામી 23 થી 25 એપ્રિલ દરમિયાન મંદિરના જીર્ણોદ્ધાર સાથે મારુતિ યાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.સાકરીયા ગામે આજે હનુમાન જયંતિના અવસરે ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉલ્લાસનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.





