Dang: આહવા તાલુકાનાં શામગહાન ખાતે વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી…
MADAN VAISHNAVAugust 13, 2024Last Updated: August 13, 2024
3 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે આદિવાસી યુવા મંચ તથા Step of inspiration-ડાંગનાં નેજા હેઠળ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈ પ્રથમ પ્રકૃતિનાં દેવી દેવતાઓની પૂજા કર્યા બાદ બળદગાડા સાથે જાહેરમાર્ગો પર રેલી કાઢી ડાંગીજનોનાં સાંસ્કૃતિક વારસાની ઝલક બતાવી જૂની યાદોને જીવંત કરવામાં આવી…ડાંગીજનોનો નાતો પ્રાચીન સમયથી પ્રકૃતિ સાથે જોડાયેલ જોવા મળે છે.ડાંગીજનો પ્રકૃતિ સાથે જોડાયેલ હોવાથી વાર તહેવારોમાં પ્રકૃતિનાં દેવી દેવતાઓની પૂજન કરે છે.એટલે જ આ પ્રકૃતિ પૂજક આદિવાસીઓ પ્રકૃતિનાં પ્રથમ અંશ અને વારસદાર તરીકે ઓળખાય છે.ડાંગ જિલ્લામાં આદિવાસી જન સમુદાયનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે દર વર્ષે 9મી ઓગષ્ટનાં રોજ વિશ્વ આદિવાસી દિવસની હર્ષો ઉલ્લાસભેર રીતે ઉજવણી કરવામાં આવે છે.આ અનેરો દિવસ તમામ આદિવાસીઓ માટે સાંસ્કૃતિક વારસાનાં મૂલ્યોનું જતન તથા સંવર્ધનની શીખ આપે છે.ત્યારે ચાલુ વર્ષે પણ ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ,સુબિર અને સાપુતારા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ડાંગ જિલ્લાનું શામગહાન ગામ પણ પાછળ પડયુ નોહતુ.ડાંગ જિલ્લાનાં શામગહાન ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભલે સાદગીપૂર્ણ માહોલમાં દેખાઈ પરંતુ શામગહાન વિસ્તારનાં આદિવાસી યુવા મંચ તથા Step of inspiration યુનિટનાં નેજા હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં પ્રથમ પ્રકૃતિનાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી હતી.બાદમાં પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ બળદગાડામાં સવાર થઈ જાહેર માર્ગો પર રેલી કાઢી ખરા અર્થમાં આદિવાસી દિવસની ઉજવણી કરી સમાજને અનેરો સંદેશો આપ્યો હતો.વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે શામગહાન આદિવાસી યુવા મંચ તથા Step of inspiration – ડાંગ યુનિટનાં નેજા હેઠળ આ વર્ષે શામગહાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરાયુ હતુ.આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા શામગહાન ગામે વાઘદેવ પાસે પુજા અર્ચના કરાયા બાદ પારંપરિક સંગીત, બળદગાડા, પાવરી – માદળ , કાહળયા તથા ડાંગી નૃત્ય સાથે રેલીની શરૂઆત થઈ હતી.આ રેલીમાં પરંપરાગત વેશભૂષા તથા વાજિંત્રો સાથે આદિવાસી સંસ્કૃતિને ઝાંખી કરવામાં આવી હતી.આધુનિક યુગને આવકાર આપીએ પણ સમાજની સંસ્કૃતિ તથા અસ્મિતાને ગૌરાન્વિત કરી તેની જાળવણી કરીએ એવી આદિવાસી યુવા મંચ દ્વારા સમાજમાં જાગૃતિ ઉજાગર કરવામાં આવી હતી.અહી યુવા આદિવાસી આગેવાન નિતીનભાઈ રાઉતે જણાવ્યુ હતુ કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાલી નાચ-ગાન પુરતી જ ના રહે પણ સાચા અર્થમાં સંસ્કૃતિ તથા આપણા પહેરવેશની જાળવણી થાય એ માટે પ્રયત્નો કર્યા હતા.શામગહાન ગામે સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી ખાણીપીણી – આંબિલ- પેજળુ તથા તુવેર -ચણાનુ ઘુઘરી લોકોને પિરસવામાં આવી હતી.વિશાળ સાંસ્કૃતિક રેલી શામગહાન -ભુરાપાણી -ચિરાપાડા થઈ બારીપાડા આંબેડકર સર્કલ પાસે પુજા કરી સમાપન કરેલ હતી.આ રેલીમાં લોકલ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો -યુવાનો, શાળાના બાળકો જોડાયા હતા..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVAugust 13, 2024Last Updated: August 13, 2024