૨૬-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ
મુન્દ્રા બી. એડ. કોલેજના તાલીમાર્થીઓ કાળા ડુંગર અને સફેદ રણનો શૈક્ષણિક પ્રવાસ કર્યો
મુન્દ્રા કચ્છ :- કાકા સાહેબ કાલેકટરના મતે “પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ” છતાંય પ્રવાસનો કાર્યક્રમ જો આયોજનબદ્ધ હોય તો મજા પડી જાય અને એનો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે તાજેતરમાં મુન્દ્રા બી. એડ. કોલેજના તાલીમાર્થીઓ માટે કાળા ડુંગર અને સફેદ રણના શૈક્ષણિક પ્રવાસનું પ્રિન્સીપાલ ડો. એલ. વી. ફફલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના સોનેરી જીવન ઘડતરમાં જે રીતે સમય પાલન, શિસ્ત અને રમત – ગમતનું મહત્વ હોય છે એ જ રીતે દરેક વિદ્યાર્થી અને વ્યક્તિના જીવનમાં પ્રવાસનો શોખ પણ એટલો જ મહત્વનો હોય છે. પ્રવાસ દિલોદિમાગ અને આત્માને મજબૂત, વિશાળ અને ઉદાર બનાવે છે. સાહસ, સહનશીલતા, નિયમિતતા, વ્યવહાર કુશળતા, માનવતા જેવા ગુણો પ્રવાસ દ્વારા જ વિકસે છે.પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન‘ એ વિષય પર પ્રકાશ પડતા ધૂમકેતુ એ કહ્યું છે કે ‘જે વ્યક્તિમાં શાળા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ સોળે કળાએ નીખરતું જાય છે, અને જીવનના કોઈપણ પડકારને પહોંચી વળવામાં આ અનુભવ પરોક્ષ રૂપે મદદરૂપ થઈ પડે છે.પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક અને નિરાશ નથી હોતું, એ તો જીવંત અને અનુભવજન્ય હોય છે. પ્રવાસ દ્વારા પ્રાપ્ત થતા વિવિધરંગી અનુભવોથી મનુષ્યને જે પાયાની કેળવણી મળે છે તે વર્ષોના શૈક્ષણિક અભ્યાસથી પણ મળતી નથી.મુન્દ્રા બી. એડ. કોલેજના ભાવિ શિક્ષકોને પ્રવાસનો પ્રત્યક્ષ અનુભવ મળે એ હેતુથી કોલેજના પ્રોફેસર કમળાબેન કામોલ, ડો. દીપકભાઈ પંડ્યા અને હિતેષભાઈ કગથરાના દોરવણી હેઠળ તાલીમાર્થીઓ કચ્છના મુગટ એવા સૌથી ઊંચા કાળા ડુંગરની મુલાકાત લઈ કચ્છના કૈલાસ કહેવાતા પર્વતની ટોચ પર બિરાજમાન ગુરુ દત્તાત્રેય મંદિરના દર્શન કરી પૌરાણિક દંતકથાઓની જાણકારી મેળવી હતી અને આજે પણ લોંગ લોંગની બૂમ પાડતા જ પ્રસાદ લેવા પધારતા શિયાળોના ઓટલાને નિહાળ્યો હતો. ત્યારબાદ દર વર્ષે દેશ – વિદેશથી લાખો પ્રવાસીઓ જ્યાં ધરતી પર ચાંદની સપાટીનો અહેસાસ કરાવે છે એવા સફેદ રણની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી અને ભવિષ્યમાં શિક્ષક બન્યા બાદ આ જ પરંપરાને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો.