ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા જાખાના ગામે હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે કળશ પૂજનનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે પૂજ્ય સંત અનેકરૂપી મહારાજના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.મંદિરના જીર્ણોદ્ધાર અને કળશ પૂજનના અવસરને વધાવવા માટે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ગામને ભગવા ઝંડા અને આકર્ષક તોરણોથી શણગારવામાં આવ્યું હતું. પૂજ્ય અનેકરૂપી મહારાજના આગમન સાથે જ ઢોલ-નગારા અને શરણાઈના સૂર વચ્ચે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. “જય શ્રી રામ” અને “હનુમાનજી મહારાજ કી જય” ના ગગનભેદી નાદ સાથે સમગ્ર જાખાના ગામ ભક્તિના રંગે રંગાયું હતું.શોભાયાત્રા બાદ પૂજ્ય સંત અનેકરૂપી મહારાજ દ્વારા હનુમાનજી દાદાના દર્શન કરી વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરના શિખર પર કળશનું પૂજન કરી તેને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.આ ધાર્મિક મહોત્સવ જાખાના ગામની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો.કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આમ, જાખાના ગામે આયોજિત આ કાર્યક્રમે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ભવ્યતાના દર્શન કરાવ્યા હતા.