
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના અંતિમ દિને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ ગામે પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઓંજલ ગામના ખેડૂતશ્રી કાંતીભાઇ પટેલ તથા મોડલ ફાર્મર શ્રી જિગ્નેશભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે, બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાપ્સા, આચ્છાદન, સહજીવીપાકો, પંચસ્તરીય બાગાયતી મોડલ ફાર્મ જેવી બાબતો અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.




