14-સપ્ટેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
રાજ્યસંઘ આયોજિત આ રથયાત્રામાં કચ્છના ૧૦૦ શિક્ષકો જોડાશે.
ભુજ કચ્છ :- ખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના સમગ્ર દેશમાં ચાલુ કરવા માટે તબક્કાવાર આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. પ્રથમ તબક્કામાં ગત ૧૦ ઓગસ્ટના દિલ્હીના રામલીલા મેદાન ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભરમાંથી શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠન શક્તિનો પરચો બતાવ્યો હતો. હવે બીજા તબક્કામાં દેશભરમાં જુદી જુદી ચાર જગ્યાએથી શિક્ષાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે વિશેષ માહિતી આપતાં રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ૫ સપ્ટેમ્બર શિક્ષક દિનથી ૫ ઓકટોબર વિશ્વ શિક્ષક દિન સુધીમાં ચાર ઝોનમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષયાત્રાઓ નીકળશે. પહેલી શિક્ષાયાત્રા આસામના સિલગરથી, બીજી યાત્રા ગુજરાતના સોમનાથથી, ત્રીજી યાત્રા અટારી બોર્ડરથી અને ચોથી યાત્રા કન્યાકુમારી ખાતેથી શરૂ થઈ ચારેય યાત્રાઓ ૫ ઓકટોબરે દિલ્હી પહોંચશે. આગામી ૧૭ સપ્ટેમ્બર, રવિવારના રોજ સોમનાથ ખાતેથી શરૂ થનાર શિક્ષાયાત્રા ગુજરાતના ૧૮ જિલ્લાઓમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર પ્રવેશશે. ત્યારબાદ મહારાષ્ટ્ર થી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા થઈ ૫ ઓકટોબરે દિલ્હી પહોંચશે. ગુજરાતમાંથી જે જે જિલ્લાઓમાંથી શિક્ષાયાત્રા નીકળશે તે જિલ્લાઓના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપરાંત નજીકના જિલ્લાઓના કર્મચારીઓ પણ આ યાત્રામાં જોડાશે. સોમનાથ ખાતે ૧૭ સપ્ટેમ્બરે સવારે શિક્ષાયાત્રા પૂર્વે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સોમનાથ ખાતેથી નીકળનાર આ શિક્ષયાત્રામાં કચ્છ જિલ્લામાંથી અંદાજિત ૧૦૦ જેટલા હોદ્દેદારો અને અન્ય કર્મચારીઓ જોડાશે તેવું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.