Dhoraji: ધોરાજીમાં ભૂખી ચોકડી પાસે થયેલાં દબાણો હટાવી ૨૪ લાખની જમીન ખુલ્લી કરાવાઈ

તા.૪/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
‘તાલુકા સ્વાગત’માં આવેલાં દબાણના પ્રશ્ન અંગે પ્રાંત અધિકારીની કાર્યવાહી
Rajkot, Dhoraji: ધોરાજીમાં ‘તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’માં ભૂખી ચોકડીનાં દબાણોનો પ્રશ્ન આવ્યો હતો. જેના પર કાર્યવાહી કરતા ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખલાએ ડિમોલીશન હાથ ધરીને ગેરકાયદે બાંધકામો તોડી પાડી આશરે રૂપિયા ૨૪ લાખની જમીન ખુલ્લી કરાવી હતી.
ગત ૨૪મી ડિસેમ્બરે ધોરાજી પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂખી ચોકડી પાસેનાં દબાણો અંગેનો પ્રશ્ન સામે આવ્યો હતો. આ અંગે તપાસ બાદ, ધોરાજી પ્રાંત અધિકારીએ આજે ભૂખી ચોકડી પાસે થયેલાં દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરીને કુલ છ આસામીઓ દ્વારા આશરે ૨૨૦ ક્ષેત્રફળમાં કરાયેલાં દબાણો દૂર કરાયાં હતાં અને આશરે રૂપિયા ૨૪.૨૦ લાખની જમીન ખુલ્લી કરાવાઈ હતી. આ કાર્યવાહીમાં મામલતદાર શ્રી આર. કે. પંચાલ અને તેઓની ટીમ જોડાઈ હતી, તેમ પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.





