
*અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી*
*નદી પાસેના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો, પોલીસે બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો*
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના માર્ગ પર સર્જાયેલી અકસ્માતજનક સ્થિતિમાં ડુંગર પોલીસે ત્વરિત અને સરાહનીય કામગીરી કરી છે.
રાભડા-કણકોટને જોડતા માર્ગ પર રામતલિયુ નદીની નજીક રસ્તાની બાજુમાં આવેલી એક દીવાલ અચાનક તૂટી પડવાથી રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. દીવાલ તૂટી જવાથી અને રસ્તો ધોવાઈ જવાથી વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું હતું, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી.
આ બાબતની જાણ થતાની સાથે જ ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા છે. માનવજીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, પોલીસે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે હોમગાર્ડ જવાનોને ઘટનાસ્થળે બંદોબસ્ત માટે મોકલી આપ્યા છે.
ધોવાણ થયેલા રસ્તાની બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને હોમગાર્ડ જવાનોએ વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી હતી અને વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. પોલીસની આ ત્વરિત કામગીરીથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી અકસ્માતની ઘટના ટળી છે.
હાલમાં, તંત્ર દ્વારા રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે ત્યાં સુધી પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ચાલુ રહેશે, જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
….





