Rajkot: ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ યોજાયો
તા.૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ફ્રેકચર અને વુંડ મેનેજમેન્ટ વર્કશોપમાં એડવાન્સ ટેકનોલોજી અને પ્રોટોકોલ સાથે સર્જરીની વ્યવહારુ તાલીમ આપવામાં આવી
૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૮૮ લાખ કરતા વધુ પશુ – પક્ષીઓને સમયસર અને સ્થળ પર નિ:શુલ્ક સારવાર આપવામાં આવી
Rajkot: ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યુ.એસ.એનાં સંયુકત ઉપક્રમે અમદાવાદ ખાતે રાજ્યના પશુ ચિકિત્સકો માટે પશુઓમાં ફ્રેકચર અને વુંડ મેનેજમેન્ટ વિષયક બે દિવસીય હેન્ડ્સ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનથી આવેલા નિષ્ણાંત વેટરીનરી સર્જન ડૉ. રાયન બ્રુઅર, ડૉ. જેન રેની, ડૉ.ટોમ આલ્બર્ટ દ્વારા વિષયને અનુલક્ષીને કુલ ૪૨ વિવિધ વિભાગ તથા તમામ જિલ્લામાંથી પધારેલ પશુ ચિકિત્સકોને નવીન એડવાન્સ ટેકનોલોજી અને પ્રોટોકોલ સાથે સર્જરીની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.
આ બે દિવસીય વર્કશોપમાં વિશેષ અતિથિ તરીકે અધિક નિયામક શ્રી ડૉ. કિરણ વસાવા પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, કુલપતિ શ્રી ડૉ. નરેશ કેલાવાલા, કામધેનુ યુનિવર્સટી, ગુજરાત રાજ્ય, ડૉ. પી.વી. પરીખ, પ્રોફેસર અને હેડ સર્જરી વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી જશવંત પ્રજાપતિ,ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસિસ, ગુજરાત રાજ્ય તથા મેજર ડૉ. અચીન અરોરા, નેશનલ હેડ VMLC EMRI GHS ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ.જી.એચ.એસ દ્વારા રાજ્યમાં કાર્યરત ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૮૮ લાખ કરતા વધુ પશુ – પક્ષીઓને ૧૯૬૨ ટોલ ફ્રી નંબર હેઠળ સમયસર અને સ્થળ પર નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.
ડૉ. ફાલ્ગુની ઠાકર, પશુપાલન નિયામક શ્રી, ગુજરાત રાજ્ય દ્વારા આ બે દિવસીય વર્કશોપનાં સફળ આયોજન બદલ તમામ તાલીમાર્થીઓ અને આયોજકને શુભેચ્છાઓ પાઠવી હતી.