ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘનો યુવરાજસિંહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ “બિનઆધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ નો આક્ષેપ

સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્યના યુવરાજસિંહે તાજેતરમાં યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઊર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ કક્ષાની ભરતી પ્રક્રિયા દરમ્યાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ, આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી.
આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ – ભરૂચએ આજે મજબૂત પ્રતિસાદ આપ્યો. સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ જે. શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિમંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી 35,000થી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું કે આવા આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને ‘બ્લેકમેલિંગ’નો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા છે.સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી. “એક વ્યક્તિ દ્વારા પોતાની વ્યક્તિગત એજન્ડા માટે વિદ્યુત કર્મચારીઓના સંગઠન પર ખોટા રોપ લગાવવાની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી,” એમ સેક્રેટરી જનરલ ચિરાગ શાહે જણાવ્યું સંઘે રાજ્ય સરકારને માંગ કરી છે કે યુવરાજસિંહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધી સખ્ત પગલાં લેવાય, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ પુરાવા વિના આક્ષેપો કરવાની હિંમત ન કરે.




