અંકલેશ્વરની સલ્ફર મિલમાં આગ:રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નિકળી,5 કામદાર દાઝી ગયા


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી સલ્ફર મિલ્સમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કુલ 5 કામદારો દાઝી ગયા હતા. તેમાંથી 2 કામદારો 30 ટકા જેટલા દાઝી ગયા છે. જ્યારે અન્ય 3 કામદારોને સામાન્ય ઈજાઓ થઈ છે.
કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતાં તેમણે તપાસ શરૂ કરી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી.આગના આ બનાવમાં 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીષ વસાવા, 41 વર્ષીય સંતોષ કુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નિલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે.




