આણંદ જાહેર જનતા દિવાળીના તહેવાર દરમિયાન રાત્રીના ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે
આણંદ જાહેર જનતા દિવાળીના તહેવાર દરમિયાન રાત્રીના ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે
તાહિર મેમણ – આણંદ – 16/10/2025 – આણંદ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક કે હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી જાહેર આરોગ્યને બચાવવા માટે ફટાકડા,ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દિશા નિર્દેશો કરેલ છે.
આ દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ અમુક પ્રવૃતિ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અન્વયે દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના ૨૦-૦૦ કલાક થી ૨૨-૦૦ કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) (Series Cracker or Laris) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકશે નહી, ફોડી શકશે નહી કે વેચાણ કરી શકશે નહી.હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકશે. PESO ધ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESO ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવુ જરૂરી છે.હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તાને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.વધુમાં લોકોને અવગડ ઉભી ન થાય કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આણંદ જિલ્લા તથા શહેરના શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહી. આ ઉપરાંત કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.
આ જાહેરનામુ તા.૨૬ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે તદુપરાંત જેનો ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.