પતિ-પત્ની બંને મક્કમ હોય છૂટાછેડા માટે તો 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટ

લગ્ન જીવનની તકરારો અને વિખવાદોમાં જયારે પતિ-પત્ની બંને દ્વારા હિન્દુ મેરેજ એકટની કલમ-13 બી હેઠળ સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે અરજી કરવામાં આવતી હોય છે ત્યારે ફેમીલી કોર્ટ દ્વારા છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ આપવામાં આવતો હોય છે, એની પાછળનું કારણ એ હોય છે કે, આ છ મહિનાના સમય દરમિયાન જો પતિ-પત્ની વચ્ચે ફરી સુમેળ સધાય અથવા યુગલ ફરી એકસાથે રહેવા તૈયાર થઇ જાય તો તે માટેનો આ એક કાયદાકીય વિકલ્પ છે.
જોકે, પતિ-પત્ની બંને વચ્ચે કોઈ સંજોગોમાં સુમેળ સધાય તેમ જ ના હોય અને બંનેએ મક્કમતાપૂર્વક છૂટા પડવાનું નક્કી કર્યું હોય તો તેવા સંજોગોમાં છ મહિનાનો આ કૂલિંગ ઓફ પિરિયડ જતો કરી શકાય છે. ગુજરાત હાઈકોર્ટે સંમંતિપૂર્વકના આવા જ એક છૂટાછેડાના કેસમાં બહુ મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી.
જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે આ અગત્યનો ચુકાદો આપતા એક દંપત્તિના પરસ્પર સંમંતિથી છૂટાછેડા માટેની અરજી કલમ-13બી હેઠળની નામંજૂર કરવાના ફેમીલી કોર્ટના હુકમને અયોગ્ય ગણાવી રદબાતલ ઠરાવ્યો હતો અને ઠરાવ્યું હતું કે, સંમંતિપૂર્વકના છૂટાછેડાના કિસ્સામાં છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરી શકાય છે અને તે ફરજિયાત નથી.
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે જે કેસોમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન શક્ય જ નથી અને તેઓ કોઈપણ સંજોગોમાં પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા માંગે છે તેવા કિસ્સાઓમાં ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો છ મહિનાનો સમયગાળો વેવ ઓફ(જતો કરવામાં) અને છૂટાછેડા લેવામાં ઘણો ઉપયોગી સાબિત થશે.
હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, જયારે પતિ-પત્ની(પક્ષકારો) વચ્ચે પુનઃમિલનનો કોઈ અવકાશ નથી. વળી, તેઓ હિન્દુ મેરેજ એકટની કલમ-13બી હેઠળ અરજી રજૂ કરવાની તારીખથી એક વર્ષ કરતાં વધુ સમયથી અલગ રહી રહ્યા છે. બંને પક્ષોએ છૂટાછેડા માટે પરસ્પર સંમંતિ આપી છે. તેથી કલમ-13બી(1)ની જોગવાઈ મુજબ, છ મહિનાનો સમયગાળો તેમ જ એક વર્ષનો સમયગાળો લગભગ પૂરો થઇ ગયો છે.
સંબંધિત પક્ષકારો દ્વારા લેવામાં આવેલા વલણને ધ્યાનમાં લેતાં પણ તેમના પુનઃમિલન કે લગ્નજીવનના જોડાણની કોઇ શક્યતા નથી ત્યારે અદાલતના મતે, પક્ષકારોની વિનંતી સ્વીકારવામાં ના આવે તો તેમની વેદના જ લંબાશે.
બંને પક્ષો યુવાન છે અને પોતાની ઇચ્છા મુજબ, પોતાની કારકિર્દી આગળ વધારવા ઇચ્છુક છે. હાલના કેસમાં પક્ષકારોએ આ કોર્ટ સમક્ષ પણ સ્વીકાર્યું છે કે, તેઓએ આ કૂલિંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરવા માટેની અરજી દાખલ કરી નથી. જો કે, તેઓ સંમંત છે કે, આજથી બે અઠવાડિયાના સમયગાળામાં તેઓ અરજી દાખલ કરશે. જેની પર ન્યાયના હિતમાં હિન્દુ મેરેજ એકટની કલમ-13બીને ધ્યાનમાં લઈને ફેમીલી કોર્ટે આ દંપત્તિને અરજી દાખલ કરવાની તક આપવી અને ત્યારબાદ કાયદાનુસાર તેમના છૂટાછેડા અંગે નિર્ણય લેવો.





