હવામાન વિભાગે હજુ 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી
ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે હજુ 6 દિવસ વરસાદની આગાહી છે. 22 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. હવામાન વિભાગ મુજબ, આવતીકાલે બુધવાર(17 સપ્ટેમ્બર)થી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના 28 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
રાજ્યમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમીધારે વરસાદ વરસી શકે છે.