Gondal: સરદારશ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી: ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ૭૩ ગોંડલ વિધાનસભા પદયાત્રા યોજાઇ

તા.૧૮/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સરદાર પટેલે સમગ્ર દેશને એક તાંતણે બાંધવાનું કાર્ય કર્યું છે
Rajkot, Gondal: અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં વિધાનસભા વિસ્તાર મુજબ અલગ અલગ ‘યુનિટી માર્ચ’ કાર્યક્રમ યોજવામાં આવી રહી છે.
આજરોજ ૭૩ – ગોંડલ વિધાનસભા વિસ્તારની પદયાત્રા ગોંડલના ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ગુંદાળા ગામેથી પ્રારંભ થઇ હતી.
કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાએ સરદારશ્રી વલ્લભભાઈ પટેલને સ્મરણાંજલિ અર્પી જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલે સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાનુ ભગીરથ કાર્ય કર્યું છે. આઝાદી પછી ૫૬૨ રજવાડાઓને દેશમાં ભેળવીને અખંડ ભારત બનાવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલ કરી છે. ત્યારે આપણે સૌ દેશવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને પરિપૂર્ણ કરવા સ્વદેશી અભિયાન સ્વચ્છતા અભિયાન સહિત અભિયાનમાં સહભાગી બનીએ તેમ શ્રી ગીતાબાએ એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુંદાળા ગામથી પાટીદડ ગામ વચ્ચે આયોજિત એકતા રેલીમાં સરદાર પટેલ એકતા રથને સૌ મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા.
‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’, ‘ચાલો એકતાનો સંદેશ પ્રસરાવીએ’, ‘રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ’ નો સંદેશો આપતા બેનર સાથે શાળા કોલેજના છાત્રો, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ વિભાગના જવાનોએ રેલીમાં ઉત્સાહપુર્ણ ભાગ લીધો હતો.
પદયાત્રાનું અનિડા ભાલોડી ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોએ રથમાં બિરાજમાન સરદારશ્રીની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા. પદયાત્રીઓને પાણી, ચા તેમજ ઠંડા પીણા પૂરા પાડી ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પદયાત્રામાં તાલુકા પંચાયત સભ્યશ્રી હિરેનભાઈ ગામી, અગ્રણીઓ સર્વશ્રી પ્રશાંતભાઈ વાળા, અશ્વિનભાઈ ઠુંમર, રીનાબેન ભોજાણી, પરિતાબેન ગણાત્રા, જેન્તીભાઈ પરમાર, ચિરાગભાઈ ઢોલ, પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારા, ગોંડલ ચીફ ઓફિસરશ્રી, મામલતદાર શ્રી, ગોંડલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોડીયા સહિત અધિકારીઓશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.












