DEDIAPADAGUJARATNARMADA

આદિવાસી સમાજના પવિત્ર યાત્રાધામ “દેવમોગરા” ખાતે યાહા મોગી માતાજીનો ભવ્ય મેળો”*

આદિવાસી સમાજના પવિત્ર યાત્રાધામ “દેવમોગરા” ખાતે યાહા મોગી માતાજીનો ભવ્ય મેળો”*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 17/02/2026 – ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા આદિવાસી સમાજના કુળદેવી અને આસ્થાના કેન્દ્ર દેવમોગરા સ્થિત યાહા મોગી પાંડુરી માતાના મંદિરે શિવરાત્રીથી શરૂ થતા ભાતીગળ લોકમેળાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. તા. ૧૯મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હવેથી રાજસ્થાન સહિત અન્ય રાજ્યો જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે તેઓ પણ યાહા મોગી માતાના દર્શન માટે આવી રહ્યા છે.

 

ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, જ્યાં જુદા-જુદા ધર્મો, બોલી-ભાષા, પોશાક, ખોરાક, રિવાજો સહિત તહેવારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. અનેક ભિન્નતાઓ હોવા છતા લોકોમાં પ્રેમ, સન્માન, ત્યાગ અને બલિદાનની ભાવના સાથે ભાવાત્મક એકતા જોવા મળે છે. આ જ એકતા આપણી સંસ્કૃતિની ઓળખ પણ છે. આદિવાસી વિસ્તારના લોકોમાં સાંસ્કૃતિક એકતાના પણ દર્શન થાય છે, આ એકતાના મૂળ લોકઉત્સવો અને લોકમેળામાં રહેલા છે. ગુજરાતમાં પણ ઉત્સવો અને લોકમેળાઓની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી થાય છે.

 

અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લાની ભૂમિ અલૌકિક પણ છે જે લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. આદિવાસી સંસ્કૃતિ, કલા, રીતરિવાજો અને પરંપરાઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે. દેવમોગરા ખાતે યોજાતા પાંડુરી માતાનો મહાશિવરાત્રીનો પાંચ દિવસીય મેળો આદિવાસી સમાજ માટે વિશેષ અને લોકપ્રિય છે.

 

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી, દેવમોગરા, દૂધ મોગરા, કોણી માતા તરીકે પણ ઓળખાય છે. તેમના સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસ માટે આ મેળો મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાય છે. મહાશિવરાત્રી એટલે શિવને ભજવાનો મહા અવસર. પરંતુ આ સ્થાનક ઉપર આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. સંપૂર્ણ ભારતવર્ષમાં માત્ર “દેવમોગરા” મેળામાં ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની પુજા થાય છે. દેવમોગરાની પાવન ભૂમિ પર ચાલુ વર્ષે ૧૫મીથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન આ મેળો ચાલશે. ગુજરાતના વિવિધ શહેરો-ગામો સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ યાહા મોગી, માં પાંડુરીના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે.

 

 

નર્મદા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટ દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ રેન્ક સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલા નર્મદા પોલીસના જવાનો અને મંદિરના ૪૫૦ કરતાં વધુ સ્વયંસેવકો રાત-દિવસ ખડેપગે રહી ફરજ અદા કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!