AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુર્ણા ખાતે દ્વિતીય આદિવાસી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ધાર્મિક અને સામાજિક ઉત્થાનનાં ઉમદા હેતુ સાથે ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ખાતે આવેલ તેજસ્વીની સંસ્કૃતિ ધામ દ્વારા આદિવાસી જનજાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૧૪/૧૨/૨૦૨૫, રવિવારના રોજ યોજાનાર આ દ્વિતીય આદિવાસી સમૂહલગ્નોત્સવમાં આર્થિક રીતે નબળા પરિવારોની ૧૦૧ કન્યાઓ પ્રભુતામાં પગલા માંડશે. આ કાર્યક્રમ માત્ર લગ્ન સમારંભ જ નહીં, પરંતુ સંસ્કૃતિ, ધર્મ અને સમાજ સેવાના સંકલનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.આ સમૂહલગ્નોત્સવનું આયોજન તેજસ્વીની સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તેને પરમ પૂજ્ય સંત શ્રીમદ્દ જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામનરેશાચાર્યજી મહારાજના પાવન આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તેમજ પૂજ્ય આદ્ય શક્તિ માતાજીના પવિત્ર સાનિધ્યમાં આ શુભ કાર્ય સંપન્ન થશે. આ ધામનો મુખ્ય હેતુ આદિવાસી જનજાતિ સમૂહમાં સંસ્કારનું સિંચન કરવું, ધર્મ પ્રત્યેની જાગૃતિ વધારવી અને સામાજિક રીતે તેમને સશક્ત બનાવવાનો છે. પત્રિકામાં સ્પષ્ટપણે જણાવ્યા મુજબ, સંસ્કૃતિ ધામ ‘સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેનું પ્રબુદ્ધ જ્ઞાન પ્રબુદ્ધ પોતાની જાતે મેળવી બનાવી’ તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે.આ શુભ પ્રસંગને દીપાવવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આમંત્રક તરીકે  નિમિષા નિલેશ નાયક (મંત્રી) તથા ટ્રસ્ટી રમેશભાઈ વેલણિયા અને તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર હાજર રહેશે. આ ઉપરાંત, ટ્રસ્ટના સંરક્ષક તરીકે પ.પૂ. સ્વામી રામનરેશાચાર્યજી મહારાજ આશ્રયદાતા તરીકે પ.પૂ. કેસરબેન ગોંડલીયા અને પ્રેરક/માર્ગદર્શક તરીકે પ.પૂ. ડૉ. બી.કે. મકવાણા ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે.લગ્ન સિવાય પણ આ ધામ સંસ્કૃતિના જતન માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સત્સંગ, કીર્તન, વેદપઠન અને સંસ્કૃતિ જ્ઞાન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દ્વિતીય સમૂહલગ્નોત્સવ આદિવાસી સમાજને આર્થિક બોજમાંથી મુક્ત કરીને, સાદાઈ અને ધાર્મિક વિધિથી લગ્ન સંપન્ન કરાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ કાર્યને ‘સમાજ સહાયક વિકાસ… શિવોહમ્… શિવોહમ્…’ના સૂત્ર સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે.તેજસ્વીની સંસ્કૃતિ ધામ આ ભગીરથ કાર્યમાં ધર્મપ્રેમી જનોને સહયોગ આપવા માટે આહ્વાન કરી રહ્યું છે. જે કોઈ મહાનુભાવો આર્થિક સહયોગ આપવા માંગતા હોય, તેઓ ટ્રસ્ટના બેંક ખાતામાં દાન મોકલી શકે છે. તેજસ્વીની સંસ્કૃતિ ધામનાં પૂજ્ય હેતલ દીદી અને પૂજ્ય ડૉ કેતન દાદાનાં સાનિધ્યમાં આ પવિત્ર પ્રસંગ ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે અને સમાજમાં એકતા તથા સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપશે.

Back to top button
error: Content is protected !!