
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
કરુણાનો રંગ,રાષ્ટ્રીય પક્ષી મોર બચાવની માનવતા બાયડના જીતપુરમાં કનુભાઈ પરમાર દ્વારા ઘાયલ મોરની બચાવ કામગીરી
ઉતરાયણનો પર્વ આનંદ, ઉમંગ અને રંગીન પતંગોની સાથે સાથે માનવતાની કસોટી પણ લઈ આવે છે. આ દિવસે આકાશમાં પતંગોની ભીડ જેટલી હોય છે, એટલા જ ધરતી પર નિર્દોષ પક્ષીઓ માટે જોખમો ઊભા થાય છે. ચાઇનીઝ દોરી અને કાચના માઝાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. આવા સંજોગોમાં જો કોઈ માનવી કરુણાનો દીવો પ્રગટાવે, તો તે સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત બની જાય છે.
બાયડ તાલુકાના જીતપુર ગામમાં આજે એવો જ એક કરુણાભર્યો પ્રસંગ બન્યો હતો. ખેતરમાં એક મોર ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં પડ્યો હોવાનું જાણવા મળતાં જીતપુર ગામના કનુભાઈ પુનાભાઈ પરમારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના માનવતા દર્શાવી. મોરના દુઃખને જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે તરત જ ગામના સરપંચ અરવિંદભાઈ તથા ડેપ્યુટી સરપંચ રઘાભાઈને જાણ કરી અને સહકારથી મોરને તાત્કાલિક સારવાર માટે પોતાના ઘરે લઈ આવ્યા હતા.
ઘરે પહોંચ્યા બાદ કનુભાઈએ પોતાની જવાબદારી સમજી મોરને પ્રાથમિક સારવાર આપી. ઘાયલ મોર માટે શાંતિપૂર્ણ વાતાવરણ, પાણી અને જરૂરી સંભાળ પૂરી પાડી. સાથે સાથે તેમણે ફોરેસ્ટ ખાતાને જાણ કરી, જેથી નિષ્ણાત સારવાર મળી શકે. થોડી જ વારમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને મોરને પોતાની દેખરેખ હેઠળ લઈ ગયા.ફોરેસ્ટ વિભાગ દ્વારા મોરને યોગ્ય સારવાર આપવામાં આવી અને આનંદના સમાચાર મળ્યા કે મોરની હાલત હવે સુધારા પર છે. આ સમાચાર માત્ર કનુભાઈ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગામ માટે ખુશીની લાગણી લઈને આવ્યા. કારણ કે એક નિર્દોષ જીવ બચ્યો હતો,અને એ બચાવ પાછળ હતી માનવતાની સાચી ભાવના હતી.
કનુભાઈ પુનાભાઈ પરમારની આ કામગીરી માત્ર એક વ્યક્તિનું કાર્ય નથી, તે સમગ્ર સમાજને સંદેશ આપે છે કે ઉત્સવ માત્ર આનંદ માટે નહીં, પરંતુ જવાબદારી અને કરુણા સાથે ઉજવવાનો અવસર છે. પક્ષીઓ પ્રત્યેની સંવેદના, પ્રાણીજગત પ્રત્યેનો પ્રેમ અને સહકારની ભાવના,આ બધું મળીને સાચી સંસ્કૃતિને ઉજાગર કરે છે.ઉતરાયણના રંગો આકાશમાં છવાયેલા હતા, ત્યારે કનુભાઈ જેવા લોકોના કરુણાભર્યા કાર્યો ધરતી પર માનવતાના રંગ ભરી રહ્યા છે. પક્ષીઓ પ્રત્યેની આ ઉત્તમ કામગીરી સૌને પ્રેરણા આપે કે આપણે પણ દરેક જીવ માટે સંવેદનશીલ બનીએ અને ઉત્સવને સાચા અર્થમાં પાવન બનાવીએ.





