ભરૂચમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીની અચાનક મુલાકાત:પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી, જેલ સ્ટાફના 61 આવાસોનું લોકાર્પણ કર્યું



સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લાના વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ હાજર રહ્યા હતા.
સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ ભરૂચ જિલ્લા જેલ ખાતે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા જેલના સિપાઈ અને સ્ટાફ માટેના 61 આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. આ આવાસો જેલ સ્ટાફની રહેણાંક સુવિધાઓ સુધારવા માટે બનાવવામાં આવ્યા છે.




