
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ એવી નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉમદા હેતુથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “સ્થળ ઉપર જ ઉકેલ એટલે સેવા સેતુ” એ સૂત્રને સાર્થક કરતા, આજરોજ તા. ૨૪.૦૩.૨૦૨૬ ના રોજ નવસારીના વિજલપોર વિભાગીય કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમના અગિયારમા (૧૧મા) તબક્કાનું બીજા ફેઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કુલ ૫૫ જેટલી સેવાઓ અને દાખલાઓ કાઢી આપવાની કામગીરી એક જ સ્થળે ઊભી કરવામાં આવી હતી. સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો, આ ૬ વોર્ડમાંથી કુલ ૧૩૨૯ જેટલા નાગરિકો/લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.
સેવા સેતુમાં વિવિધ વિભાગોની કામગીરીની ઝલક નીચે મુજબ રહી હતી:
આરોગ્ય વિભાગ: સૌથી વધુ લાભાર્થીઓએ હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી. ની ચકાસણી) (૫૬૮ અરજીઓ) અને પી.એમ.જે.એ.વાય (PMJAY) કાર્ડ (૧૧૯ અરજીઓ) નો લાભ લીધો હતો.
મહેસુલ અને સામાજિક ન્યાય વિભાગ: આવકના દાખલા (૨૦૧ અરજીઓ), જાતિના પ્રમાણપત્રો (૨૮ અરજીઓ) અને પ્રોપર્ટી ટેક્સ સંબંધિત (૧૯૮ અરજીઓ) નો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
પુરવઠા વિભાગ: રેશનકાર્ડમાં નામ દાખલ કરવા (૯૪ અરજીઓ), કમી કરવા (૨૮ અરજીઓ) અને સુધારા કરવા (૪૧ અરજીઓ) જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
અન્ય સેવાઓ: આ ઉપરાંત, આધાર કાર્ડમાં સુધારા (૧૩૬ અરજીઓ), સિનિયર સિટીઝન બસ પાસ (૪૪ અરજીઓ), અને પીએમ સ્વનિધિ યોજના (૧૦ અરજીઓ) જેવી અનેક સેવાઓનો નાગરિકોએ સીધો લાભ લીધો હતો.
નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ સુવ્યવસ્થિત કામગીરીથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી અને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ ઝડપી નિકાલ થવાથી લોકોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો.





