Rajkot: રાજકોટ દિલ્હી ફ્લાઈટની ફિકવન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે

તા.26/10/2025
વાત્સલ્યમ્ સમાચાર
દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટ પધારતા મંત્રીશ્રી મનસુખ માંડવીયા – રાજકોટ એરપોર્ટ પર મેયરશ્રી, ધારાસભ્યો સહિતના મહાનુભાવો દ્વારા સ્વાગત
રાજકોટને આજથી દિલ્હીની સવારે અને સાંજે બે નવી એર કનેક્ટિવિટી મળતા રોજ ચાર ફ્લાઈટ ઉડાન ભરશે
Rajkot: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખ માંડવીયા આજથી રાજકોટ દિલ્હી વચ્ચે શરુ થયેલી નવી ફ્લાઈટમાં યાત્રા કરી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતાં મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
મંત્રી શ્રી માંડવીયાએ આ તકે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ અને દિલ્હી વચ્ચે સવારે બે અને સાંજે બે એમ કુલ મળીને ચાર ફ્લાઈટની કનેક્ટિવિટી મળતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને મોટો લાભ થશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું વેપાર ઉદ્યોગનું કેન્દ્ર છે. રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ વિદેશના ઉદ્યોગકારોને દિલ્હીથી રાજકોટની ફ્લાઇટની વધુ સુવિધા પ્રાપ્ત થતાં ઉદ્યોગકારોને લાભ થશે.
સાથોસાથ રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી યાત્રાધામ સોમનાથ, દ્વારિકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ મળશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવે ભારત સરકારનો આભાર માનતાં જણાવ્યું હતું કે, લાભ પાંચમના દિવસે રાજકોટ દિલ્હીને જોડતી નવી ચાર ફ્લાઈટ મળતાં રાજકોટ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે.
આ તકે અગ્રણીઓ સર્વે શ્રી માધવભાઈ દવે, શ્રી વીરેન્દ્ર સિંહ ઝાલા, શ્રી હંસરાજભાઇ ગજેરા, શ્રી તેજસભાઈ ભટ્ટી, શ્રી અમૃતભાઈ ગઢિયા, શ્રી નૌતમભાઈ બારસીયા સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.







