Jasdan: જસદણમાં ૨૫૦ જેટલા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ

તા.૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે યોજાયો દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ
Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આજે જસદણમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ દિવ્યાંગોને વિવિધ સાધનોનું મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અઢીસો જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સાધન સહાયનો લાભ આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તથા મધ્યપ્રદેશના રતલામના એસ.આર. ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગોને આ સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે.
દિવ્યાંગોને મનોબળ પૂરું પાડતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કુદરતે જે વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે તેને સ્વીકારીને આપણે જે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં મક્કમ મનોબળ સાથે આગળ વધવાનું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, એકે એક દિવ્યાંગને શોધીને તેને સાધન સહાય કેવી રીતે મળી શકે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે અને વિવિધ ટ્રસ્ટોના સહકારથી આ પ્રકારના દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજવામાં આવે છે. બાકી રહી જતા દિવ્યાંગોને પણ આ પ્રકારના કેમ્પની માહિતી આપીને આંગળી ચીંધ્યાનું પુણ્ય લેવા જેવા કામમાં સહભાગી બનવા ઉપસ્થિત લોકોને આહવાન કર્યું હતું.
આ કેમ્પ વિશે માહિતી આપતાં પ્રાંત અધિકારી સુશ્રી ગ્રીષ્મા રાઠવાએ કહ્યું હતું કે, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા લોકોમોટર ડિસેબીલીટી ધરાવતા દિવ્યાંગોને કેલિપર્સ સહિતની સાધન સહાય આપવામાં આવે છે. આવા દિવ્યાંગોનું ઘર આંગણે જ મૂલ્યાંકન કરીને તેને સાધન સહાય પૂરી પાડવાનું આ મિશન ખૂબ જ ઉપયોગી છે.
આ કેમ્પમાં સાધન સહાયનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં દિવ્યાંગો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં દિવ્યાંગોની દિવ્યાંગતાનું સ્થળ પર જ મૂલ્યાંકન કરીને તેઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દિવ્યાંગો સાધન સહાયનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ તેઓને ફોન કરીને આ કેમ્પ અંગે જાણ કરવામાં આવેલી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ. એમ. રાઠોડ, જસદણ મામલતદાર શ્રી એમ. ડી. દવે, જસદણ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે. આર. ચુડાસમા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી. કે. રામ, અગ્રણી સુશ્રી સોનલ વસાણી, અને શ્રી અનિલ મકાણી સહિતના આગેવાનો જસદણ હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





