Jasdan: જસદણના જીલેશ્વર પાર્કમાં સ્વચ્છતા અને શ્રમદાનની મહેક ફેલાઇ

તા.૩૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“સ્વચ્છ ભારત મિશન” હેઠળ શહેરનાં નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા તથા મેદસ્વિતામુક્તિ માટે જાગૃત કરાયા
Rajkot, Jasdan: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણના જીલેશ્વર પાર્ક ખાતે સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રી નિકુલ રાખોલીયાના અધ્યક્ સ્થાને “સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ” યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તથા લોકોએ ગુજરાતને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા શપથ લીધા હતા. “સ્વચ્છ ભારત મિશન” હેઠળ શહેરનાં નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની ટેવ કેળવે અને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની કવાયત વધુ અસરકારક બને તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કચરો બે પ્રકારનો હોય છે. બાયોડીગ્રેડેબલ કે જેનું વિઘટન થઇ શકે છે, તેવા ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે. નોન-બાયોડીગ્રેડેબલ કે જેનું વિઘટન થઇ શકતું નથી તેવા સુકા કચરાને રી-સાયકલ કે રી-યુઝ કરી શકાય છે.
ઉપસ્થિતોને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.





