વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ સપ્ટેમ્બર : રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવના માધ્યમથી નાગરિકોમાં દેશભક્તિ અને સ્વદેશીની ભાવના કેળવવા માટે એક અનોખી પહેલ કરી છે. જેમાં, ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવવા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપનાર આયોજકો માટે પ્રોત્સાહક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કચ્છના ભુજ આરટીઓ ખાતેના શ્રી વરદ વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ પંડાલ આ વર્ષે સમાજને પ્રેરિત કરતા સંદેશાઓનું પ્રેરણાકેન્દ્ર બન્યો હતો. અહીં દર્શનાર્થે આવતા ભાવિકોને આધ્યાત્મ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ઇકોફ્રેન્ડલી ગણેજીની મૂર્તિના સ્થાપન દ્વારા આપવામાં આવ્યો હતો. આ આયોજન અંગે વાત કરતા કિશન ગઢવીએ જણાવ્યું હતું કે, સમ્રગ દેશમાં આજે ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામા આવે છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્વદેશી અને દેશપ્રેમના સંકલ્પોને અહીંના ગણેશ પંડાલમાં સાકાર કરવાનો પ્રયાસ કરાયો છે.