રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જૂનાગઢના પત્રકારશ્રીઓ વર્ચ્યુઅલી સહભાગી થયા
રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જૂનાગઢના પત્રકારશ્રીઓ વર્ચ્યુઅલી સહભાગી થયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને અને ખાસ કરીને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમોના પત્રકારશ્રીઓ દ્વારા જન આરોગ્ય માટે આશીર્વાદરૂપ એવી પ્રાકૃતિક કૃષિનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતો પ્રેરિત થાય તેવા શુભાષય સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષતામાં રાજભવન ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ-પ્રતિનિધિશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.
કલેકટર કચેરી ખાતે વર્ચ્યુઅલી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પત્રકારશ્રીઓએ રાજ્યપાલશ્રીનું પ્રાકૃતિક કૃષિ સંદર્ભેનુ વક્તવ્ય સાંભળ્યું હતું અને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો વિશે જાણકારી મેળવી હતી. ઉપરાંત પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી તથા જૈવિક ખેતી વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ધીમે ધીમે વિસ્તરી રહ્યો છે. અંદાજે છ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
જિલ્લા વહીવટી તંત્ર, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વર્ચ્યુઅલ પરિસંવાદ જૂનાગઢ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓની ઉપસ્થિતિથી સફળ રહ્યો હતો.