રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના સંકલનથી કચ્છ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકનના પરિક્ષણ કાર્યમાં રોકાયેલ શિક્ષકોની વહારે આવી શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ.
કચ્છને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરી અંજાર, ગાંધીધામ, માધાપર, ભુજ, મિરજાપર, માનકુવા, વગેરે અલગ-અલગ સ્થાનો પર અલગ-અલગ વિષયોના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ થઈ.
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.
ભુજ તા – ૨૩ માર્ચ : ધો. 10 તેમજ ધો. 12 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ જ્યારે પૂર્ણતાની આરે છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પેપર ચેકિંગ માટેના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ થઇ ચૂક્યા છે. કચ્છને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરી અંજાર, ગાંધીધામ, માધાપર, ભુજ, મિરજાપર, માનકુવા, વગેરે અલગ-અલગ સ્થાનો પર અલગ-અલગ વિષયોના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ થઈ ગયેલ છે. કચ્છ જિલ્લો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી વિશાળ જિલ્લો છે, તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલ રજૂઆતના પગલે આ વર્ષે શિક્ષકોની પેપર ચેકિંગમાં સરળતા અને સગવડતા રહે એ માટે પૂર્વ-પશ્ચિમમાં વહેંચી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે, તે ખરેખર શિક્ષણ બોર્ડની સરાહનીય કામગીરી છે. ગત વર્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંકલનથી કચ્છના દૂર-દૂરના તાલુકાઓમાંથી મધ્યસ્થ મૂલ્યાંકન માટે આવતા શિક્ષક ભાઇઓ અને બહેનો માટે નવચેતન અંધજન મંડળ, માધાપર તેમજ શ્રી કચ્છ આહિર બોર્ડિંગ, શ્રી મુરલીધર વિદ્યામંદિર, અંજાર નામની સેવાભાવી સંસ્થાઓ મધ્યે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. આ વર્ષે પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના સંકલનથી કચ્છ જિલ્લામાં ચાલતા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની નજીક સેવાભાવી સંસ્થાઓ નવચેતન અંધજન મંડળ, માધાપર, શ્રી ક્ચ્છ આહિર મંડળ સંચાલિત શ્રી કચ્છ આહિર બોર્ડિંગ, મુરલીધર વિદ્યામંદિર, અંજાર, ભાઇઓ માટે તોલાણી કોલેજ બોયઝ હોસ્ટેલ, આદિપુર તેમજ બહેનો માટે ગજવાણી ગર્લ્સ હોસ્ટેલ, ગાંધીધામના ટ્રસ્ટી શ્રી તેમજ સંચાલકોના સહયોગ તેમજ સહકારથી ઓછા અને વાજબી દરે રહેવા જમવાની સવલત ઉભી કરવામાં આવેલ છે. દર વર્ષ આવી સેવાભાવી સંસ્થાઓનો શિક્ષક મિત્રોને શૈક્ષણિક કાર્ય માટે સદા સહયોગ સહકાર મળતો રહ્યો છે એ બદલ શિક્ષણ જગત હંમેશા આવી સંસ્થાઓનુ આભારી રહેશે. તો આ વર્ષે પણ જે શિક્ષકો બંધુ-ભગીનીઓ આ પ્રકારની સેવાઓનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ ઉપર મુજબની સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરવા સંકલન કરનાર રાષ્ટ્રવાદી સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગાંધીધામમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક, ગાંધીધામ તાલુકા અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા સંકલન કરી રહ્યા છે, જ્યારે અંજારમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉપાધ્યક્ષ સુનિલભાઇ મહેશ્વરી સંકલન કરી રહ્યા છે તેમજ ભુજ મધ્યે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ મુખ્ય સંકલન કર્તા અલ્પેશભાઈ જાની તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમારના સંકલનથી કચ્છ-ABRSM ટીમ કચ્છની સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને સેવાકાર્ય કરી રહી છે.