આદિજાતિ વિસ્તાર પોશીનાના ધર્માભાઇ પંચાલને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ
************
ભલુ થાય આ ગરીબો માટે વિચારતી સરકારનું જેમણે અમને પાકા મકાન બનાવવા માટે સહાય આપી-લાભાર્થી ધર્માભાઇ પંચાલ
**********
હોય સ્વમાન સાથે સામાન્ય લોકોના માથે પાકી છત આ છે સંવેદનશીલ સરકારનો નેક દ્રષ્ટીકોણ
**********
આકાશમાં જ્યારે કાળા ડીબાંગ વાદળો એકબીજા સાથે રમત રમતા હોય અને એમાંય વિજળી જાણે પોતાના કડાકાથી લોકોને જગાવતી હોય ત્યારે લોકો વરસાદનો આનંદ માણવા માટે આતુર બની જાય છે. બીજી બાજુ અમારા જેવા સામાન્ય લોકો માટે ચોમાસાનો વરસાદ જાણે ચિંતાનો વિષય બની જાય.કારણ કે માથે કાચી છત છે.જો વરસાદ આવશે તો વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જાય.ઘરનો સામાન પલળી જાય અને મકાન પડી જવાનો ભય જાણે પરીવારજનોની ઉંઘ ઉડાડી દે.આવા મુશ્કેલ સમયમાં ભલુ થાય આ ગરીબો માટે વિચારતી સરકારનું જેમણે અમને પાકા મકાન બનાવવા માટે સહાય આપી.આ શબ્દો છે સાબરકાંઠા જિલ્લાના પોશીનાના ધર્માભાઇ મણાભાઇ પંચાલના.
ધર્માભાઇ પંચાલને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. તેઓ જણાવે છે કે મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી.આથી હું ક્યારેય પાકુ મકાન બનાવી ન શકોત.મને મકાન સહાય મળવાથી અત્યારે હું અને મારો પરીવાર શાંતિથી પોતાના પાકા મકાનમાં રહીએ છીએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી, કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે.જેમાં અરજી કર્યા પછી મકાન મંજુર થતા પ્રથમ હપ્તો રૂપિયા ૩0,000/- , બીજો હપ્તો ૫0,000/- અને ત્રીજો હપ્તો ૪0,000/- લાભાર્થીને આપવામાં આવે છે.
- જયંતિ પરમાર સાબરકાંઠા