વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
‘મારી માટી મારો દેશ’ અભિયાનનો સમન્વય અને દેશભક્તિનો અદભુત સંગમ
‘વિશ્વ આદિવાસી દિવસ’ની ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કોશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી.ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના ઘારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા વિશેષ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો અને સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનોએ મારી માટી મારા દેશ અભિયાનની પ્રતિજ્ઞા તથા સેલ્ફી લઈને કરવામાં આવી હતી.જેમાં જિ.પં. પ્રમુખ ભીખુભાઇ આહીર,ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ,ખેરગામ તા.પં.પ્રમુખ રક્ષાબેન પટેલ,ચીખલીના કલ્પનાબેન ગાંવિત,ડો.અમિતાબેન પટેલ,ખેરગામ ભાજપના પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષ ટેલર,લિતેશ ગામીત,પ્રશાંતભાઈ પટેલ સહિતના આગેવાનો અને તાલુકા જિલ્લાના અધિકારીઓ,સરપંચો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે નવસારી જીલાના આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો/ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .
આ અવસરે નાયબ દંડકે મંચ ઉપરથી જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવાથી અંબાજી થી લઈને ઉમરગામ સુધીનાં આદિવાસી બાંધવોનો વિકાસ થયો છે.જે અંતર્ગત આદિવાસી સમુદાયે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે.