GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ચણાના પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે ખેતવાડી ખાતા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

તા.૨૫/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: અત્યારે શિયાળુ વાવેતરનો સમય છે ત્યારે ચણાના પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે ખેતવાડી ખાતા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના હમેશા રોગમુક્ત બિયારણ પસંદ કરવું, પાકની જુવાર અથવા બાજરી પાક સાથે ફેરબદલી કરવી, લીલી ઇયળ બહુભોજી હોવાથી શેઢા- પાળાનાં નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નિંદણનો નાશ કરવો, ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ધાણા, રાઈનું આંતર પાક તરીકે વાવેતર કરવું, ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું, મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો, સુકારો અને મૂળખાઉ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨×૧૦° સીએફ્યુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું, સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે,

ચણામાં બીજ માવજત વખતે બીજને જૈવિક રોગ નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ – ૧% વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા, રાસાયણિક બીજ માવજત માટે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો ૩ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો.

પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવુ.

આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!