
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પ્રાગપર એન્કરવાળા અહિંસાધામ ખાતે જીવદયા સાથે અનોખો દેશપ્રેમ : ભારતીય સેના માટે ‘A1 શેરડી હાઉસ’ની સરાહનીય પહેલ
મુંદરા, તા. 31:
આજે મહાવીર જયંતીના પવિત્ર પર્વે મુંદરા તાલુકાના પ્રાગપર સ્થિત જાણીતી સંસ્થા ‘એન્કરવાલા અહિંસાધામ’ ખાતે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા અને કરુણાના સંદેશને સાર્થક કરતી આ ગૌશાળાની મુલાકાત દરમિયાન જીવદયાની સાથે સાથે સીમા પર તૈનાત સૈનિકો પ્રત્યેનો આદર પણ ઊડીને આંખે વળગ્યો હતો.
અહિંસાધામમાં સેંકડો ગાયોનું જતન નિષ્ણાંત તબીબો દ્વારા અત્યંત કરુણાપૂર્વક કરવામાં આવે છે જે મુલાકાતીઓ માટે પ્રેરણારૂપ છે. જોકે આ મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રવેશદ્વાર પાસે આવેલી ‘A1 શેરડી હાઉસ’ નામની દુકાને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ દુકાન પર સૈનિકોના ફોટોગ્રાફ સાથે અંગ્રેજીમાં “Free For Indian Army” (ભારતીય સૈન્ય માટે નિઃશુલ્ક) લખાણ વાંચવા મળે છે.
વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે આપણા દેશની રક્ષા કરતા જવાનો માટે આટલી સંવેદનશીલતા અને આદર દર્શાવતી આ પહેલ ખરેખર વંદનીય છે. દુકાનદારની આ રાષ્ટ્રપ્રેમી ભાવનાએ તેના ‘A1’ (અક્ષર અને અંકમાં પ્રથમ) નામને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.
સ્થાનિક મુલાકાતીઓએ જણાવ્યું હતું કે ગૌસેવા અને માનવતાના આ ધામ પાસે સૈનિકો પ્રત્યેનો આવો પ્રેમ જોઈને ગર્વની અનુભૂતિ થાય છે. અન્ય વેપારીઓએ પણ રાષ્ટ્રસેવામાં કાર્યરત જવાનોના માનમાં આવી નાની પણ અર્થસભર પહેલમાંથી પ્રેરણા લેવી જોઈએ. અહિંસાધામની જીવદયા અને A1 શેરડી હાઉસની આ દેશભક્તિએ મહાવીર જયંતીના પર્વને વધુ મંગલમય બનાવ્યો હતો.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




