
કેવીકે દેડીયાપાડા ખાતે કૃષિ અને ગ્રામીણ પરિવર્તન વિષયક પોસ્ટ બજેટ વેબિનાર યોજાયો,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
કૃષિ અને ગ્રામિણ વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે જાહેર કરાયેલી યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડીયાપાડા ખાતે પોસ્ટ બજેટ વેબિનાર અને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોને વેબિનારના માધ્યમથી સંબોધન કર્યું હતું, જેમાં કૃષિ વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ અને ખેડૂતોની આવક વધારવા માટે સરકારના પ્રયત્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ. યુ. વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમના હેતુ વિશે માહિતી આપી અને ખેડૂતોને હાઈ વેલ્યુ એડેડ પાકોની ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. એમ. વી. તિવારી દ્વારા મહિલા ઉદ્યમી માર્ટ વિષય પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડૉ. વી. કે. પોશીયા દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ અને તેની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રી એમ. એલ. વિશાત દ્વારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
આ લાઈવ કાર્યક્રમમાં દેડીયાપાડા અને સાગબારા તાલુકાના રૂખલ, પાટલામહુ, કાકરપાડા સહિતના વિવિધ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો દ્વારા કૃષિ બજેટ સંબંધિત માહિતી મેળવી અને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે ખેડૂતોને નવી કૃષિ તકનીકો અપનાવીને ખેતીમાં ઉત્પાદન અને આવક વધારવા માટે પ્રેરણા આપવા
માં આવી હતી.




