વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આહવાના મિશનપાડા(હનુમાન મંદિરની પાછળ) જાહેર રસ્તા પર પ્લોટની ફાળવણી કરવામાં આવતા,સ્થાનિકોએ જિલ્લા કલેકટર ને સંબોધતું આવેદન પત્ર પાઠવ્યું હતુ.જોકે હજુ સુધી તે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ નથી.ત્યારે સ્થાનિકોએ ચુંટણી બહિષ્કાર કરવા અંગે જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી છે.સરકાર દ્વારા આહવા – મિશનપાડા હનુમાન મંદિરની પાછળ કોંક્રિટનો રસ્તો ગટર સાથે બનાવવામાં આવેલ છે.અને સ્થાનિકો વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ અવર જવર માટે કરતા આવ્યા છે.તેમજ રસ્તાની પાસે જ હનુમાનજીનું મંદિર આવેલ છે,જ્યાં ધાર્મિક અને લગ્ન પ્રસંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.આ જમીન સ્થાનિકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે.ત્યારે આ જમીન – પ્લોટ ઈશ્વરભાઈ લાલજીભાઈ પરમાર (રહે.ભરૂચ) ને રહેણાંક હેતુથી ફાળવી દેવામાં આવી છે.અને આ ઈશ્વર પરમાર નામનો વ્યક્તિ આ પ્લોટ વેચીને તેનો કોમર્શિયલ (વાણિજ્ય)ઉપયોગ કરવા પ્રયાસ કરે છે તેવું પ્રતિત થઈ રહ્યું છે.જો આ જમીન – પ્લોટ રહેણાંક કે કોમર્શિયલ ઉપયોગમાં લેવાય તો સ્થાનિકો માટે અવરજવર કરવાનું મુશ્કેલ બને તેમ છે.અને ધાર્મિક તથા લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં પણ અગવડતા થાય તેમ છે.તેથી સ્થાનિકોએ તા.05/01/2024નાં રોજ જિલ્લા કલેકટર ને સંબોધતું આવેદન પત્ર પાઠવ્યું હતું.તેમજ ઈશ્વર પરમારને અન્ય જગ્યાએ પ્લોટની ફાળવણી કરીને જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.જોકે આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પણ આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે..