Lodhika: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખવડ રોડ પરના નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અંદાજે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે મેજર બ્રિજ બનવાથી મવડી, પાળ, રાવકી તથા લોધિકા તાલુકાના વાહનચાલકો માટે પરિવહન વ્યવસ્થા સુગમ બનશે
બ્રિજની કામગીરી નિયત થયેલા માપદંડો અનુસાર થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરાઈ
Rajkot, Lodhika: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) દ્વારા લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખવડ રોડ પરના નિર્માણાધિન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ અંદાજે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે બનનારા મેજર બ્રિજની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ બ્રિજનું કામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેની પણ વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ બ્રિજની કામગીરી નિયત થયેલા માપદંડો અનુસાર થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, મેજર બ્રિજ બનવાને કારણે મવડી, પાળ, રાવકી તથા લોધિકા તાલુકાના વાહનચાલકોની પરિવહન વ્યવસ્થા સુગમ બનશે. વધુમાં તેઓશ્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ સાધીને સ્થાનિક પ્રશ્નો અને બ્રિજની કામગીરી અંગે પ્રતિભાવ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, રૂ.૮ કરોડથી વધુની રકમના ખર્ચે બનનારા લોધીકા તાલુકાના મવડી, પાળ, રાવકી માખાવડ રોડ પરના બ્રિજની લંબાઈ ૮૪.૦૦ મીટર અને પહોળાઈ ૧૨.૫૦ મીટર છે. ઉપરાંત બ્રિજની બંને તરફના એપ્રોચમાં ક્રેશ બેરિયર, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ તથા બ્રિજ સેકશનમાં ફૂટપાથ કરવામાં આવશે તેમ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી એમ.ડી.ડાભીએ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબહેન રંગાણી, સંબંધિત વિભાગના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ અને સ્થાનિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







