ભરૂચમાં લેઉવા પાટીદારના ગરબામાં થયા શક્તિ સાથે થયા રાષ્ટ્ર ભક્તિના દર્શન

સમીર પટેલ, ભરૂચ
અર્વાચીન ગરબાની બોલબાલા વચ્ચે પરંપરાને જીવંત રાખવા સૌરાષ્ટ્ર લેઉવા પટેલના આયોજનમાં રાષ્ટ્રધ્વજ સાથે લેવાયા ગરબા
નવરાત્રીમાં અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાની પરંપરાને જીવંત રાખવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. લેઉવા પટેલ સમાજની કન્યાઓ દ્વારા ગરબા લેવામાં આવ્યા હતા. નવરાત્રિમાં નારીશક્તિની આરાધના સાથે રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાના પણ દર્શન આ આયોજનમાં થયા હતા.
ગ્રામ્ય જીવનની મહેક અને પરંપરાને જીવંત રાખવા માટે ભરૂચમાં વસતા એક કરતા પણ વધુ લેઉવા પટેલ સમાજના પરિવારોએ આઠમા નોરતે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવતીઓને નોરતાનો વારસો આપવા અને ગૌરવશાળી સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને ચોમાસ પૂર્ણ થયા બાદ કૃષિકર્મ હળવું થતું હોય એવામાં નવરાત્રી આવે એટલે મહિલાઓમાં ઉત્સાહ અનેરો હોય છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓ દ્વારા દીપક સાથે ગરબો માથે મૂકી ગરબા રમવામાં આવતા હતા. હાર્મોનિયમ, દોકડ, ઢોલ અને મંજીરાના તાલે જગતધાત્રી જગદંબાની પ્રતિમાની ફરતે આ ગરબા લેવામાં આવે ત્યારે અદ્દભૂત માહોલ બની રહેતો હતો. ગરબા પૂરા થયા બાદ ગરબે ઘૂમતી કન્યાઓને ગામના શ્રેષ્ઠીઓ દ્વારા લ્હાણી કરવામાં આવતી હતી. વળી, નવરાત્રી દરમિયાન ગામડાઓમાં કુંવારિકાઓને ભોજન કરાવવાની પરંપરા આજેય જીવંત છે.
ત્યારે ભરૂચમાં ઉક્ત પરંપરાને જીવંત રાખવા સાથે ખેલૈયાઓ તિરંગાને તેના પૂર્ણ આદર સાથે હાથમાં ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. આ વેળાએ દેશભક્તિનો પ્રચંડ માહોલ જોવા મળ્યો હતો.



