
મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૪ માર્ચના રોજ યોજાશે નેશનલ લોક અદાલત
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જીલ્લામાં મુખ્ય જીલ્લા ન્યાયાધિશ શ્રી એમ.એન.ગડકરીના માર્ગદર્શન હેઠળ જીલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, નવી દિલ્હી ધ્વારા દેશભરમાં તા. ૧૪ મી માર્ચ, ૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવાનું સુચન થઈ આવેલ છે. જે અનુસંધાને મહીસાગર જીલ્લામાં પણ મુખ્ય જીલ્લા ન્યાયાધિશ શ્રી એમ.એન.ગડકરીના માર્ગદર્શન હેઠળ જીલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેંક લેણા, ચેક રીટર્ન, સામાન્ય મારામારીના કેસો તથા મીલ્કત સબંધી દાવાઓ, લગ્ન સબંધી કેસો, સમાધાન પાત્ર ન હોય તે સીવાયના વિજળી તથા પાણીના બીલોના કેસો, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટર, વિગેરે પ્રકારના કેસોનો સમાધાન કરી નિકાલ થઈ શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે,સમાધાન વડે કેસોનો નિકાલ થાય તે હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. લોક અદાલતને કારણે લોકોના નાણા અને સમયની બચત થાય છે તથા બન્ને ધરે દીવા થાય છે. લોક અદાલત એ સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે. લોક અદાલતમાં કેસોનો ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી અને અન્ય કોઈ ખર્ચ પણ થતો નથી.
આ નેશનલ લોક અદાલતમાં પોતાનો કેસ મુકવા માંગતા પક્ષકારોને પોતાનો વકીલો મારફત જે તે તાબાની કોર્ટોમાં સંપર્ક કરવા અથવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ, રૂમ નં. ૧૫, મહીસાગર મુ. લુણાવાડા ફોન નં.- ૦૨૬૭૪- ૨૫૧૧૯૯ ઉપર સંપર્ક કરવા સચિવશ્રી, એચ.આર.પરમાર ધ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.


