પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ, પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ…

ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના પાલેજ ટાઉન સહિત ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવાએ હિંદુ – મુસ્લિમ સમુદાયના ગણેશોત્સવ તેમજ ઇદે મિલાદ પર્વની કોમી એકતા, સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઇપણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવાએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ સમિતિના આયોજકો જિલ્લા પંચાયત પાલેજ બેઠકના સદસ્ય મલંગ પઠાણ, પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શબ્બીર પઠાણ, અંજુમને અનીસુલ ઇસ્લામના સેક્રેટરી મુસ્તુફા લાંગીયા, કિશનાડ, કહાન, વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પાલેજ નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમીર પટેલ, ભરુચ



