MORBI:મોરબીમાં ભાજપના ‘જન સેવા સંકલ્પ’ કાર્યક્રમમાં હોબાળો: પ્રશ્ન પૂછનાર નાગરિકને બહારનો રસ્તો બતાવાયો




MORBI:મોરબીમાં ભાજપના ‘જન સેવા સંકલ્પ’ કાર્યક્રમમાં હોબાળો: પ્રશ્ન પૂછનાર નાગરિકને બહારનો રસ્તો બતાવાયો

મોરબી: મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી જનતામાં જોવા મળી રહેલો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના કાર્યક્રમોમાં સતત બીજા દિવસે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આજે રવાપર ચોકડી ખાતે આયોજિત ‘જન સેવા સંકલ્પ’ કાર્યક્રમમાં નેતાઓ સામે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

રવાપર ચોકડી ખાતે જ્યારે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે એક જાગૃત નાગરિકે પાયાની જરૂરિયાત એવા પાણીના પ્રશ્ને દુર્લભજીભાઈ દેથરીયાને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. અચાનક થયેલા આ પ્રશ્નોત્તરીથી કાર્યક્રમમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.નેતાગીરીનું વલણ ચર્ચાના ચકડોળે
લોકોમાં ચર્ચાનો વિષય એ બન્યો કે, જ્યારે નાગરિક પોતાની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ પ્રશ્નો સાંભળવાને બદલે જાગૃત નાગરિકને કાર્યક્રમની બહારનો રસ્તો બતાવી દીધો હતો. સત્તાધારી પક્ષના નેતાના આ પ્રકારના વલણથી સ્થાનિકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે.
ગઈકાલે શ્રમ અને રોજગાર મંત્રીના વિરોધ બાદ આજે ફરી નેતાઓનો ઘેરાવો થયો. પીવાના પાણીની સમસ્યા બાબતે લોકોમાં ભારે રોષ.લોકશાહીનું અપમાન? રજૂઆત કરનાર નાગરિકને બહાર કાઢી મૂકતા અનેક સવાલો ઉભા થયા.

મોરબીમાં ભાજપના નેતાઓ અત્યારે જનતાના રડારમાં હોય તેવું જણાય છે. મોટી સંખ્યામાં નેતાઓની હાજરી હોવા છતાં સામાન્ય નાગરિકો હવે નીડર બનીને પ્રશ્નો પૂછી રહ્યા છે. જન સેવાના દાવાઓ વચ્ચે જ્યારે જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે, ત્યારે આગામી સમયમાં આ આક્રોશ કયું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહ્યું.



