GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં સાડા ત્રણ દિવસનો ધાર્મિક જાતર મેળો ભરાશે..

મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં તા. 16 મી સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધી ધાર્મિક જાતર મેળો ભરાશે..

 

 

પાલણધામમાં ચાર દિવસ સુધી હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ સ્વયંભૂ ઉમટી પડશે…આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-નોમ થી બારશ બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. 16-9-2025 થી તા. 19-9-2025 સુધી યોજાશે.

ચાર મેઘવાળથી શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા લોકો ર૧ દિવસના ઉપવાસ કરે છે અને ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઇ ચાલીને પણ આવે છે.માટે આ માત્ર મેળો નહી પરંતુ એક આસ્થા ભરી યાત્રા છે.


આ મેળાનો પ્રારંભ વાંકાનેરથી ૯ કિ.મી. દુર આવેલ જડેશ્વર મહાદેવના મંદિરેથી થાય છે.ગત ગંગા સફેદ કાપડનો બેડો બાંધે છે. જેની નીચે ગુરૂ હોય તે વેદ બોલે છે અને શિષ્ય હોય તે જીકારો આપે છે. મંદિરના પ્રાંગણમાં ધુપ, ધ્યાન કરી ધજા, શ્રીફળ, સાકર ચડાવી (જેને ભેટ ચડાવી એમ કહેવામાં આવે છે.) લોકો પરોડ જવા પગપાળા ચાલતા થાય છે પરોડે પહોંચી દેહ દાન કરી કાંકણ ભરી આપાની મેડીએ આવી પહોંચે છે. ત્યાં આવી રાત્રે નોમ જાગરણ કરી સવારે કાંકણ ભરી ગુરૂને કપુરીયા કુંડમાં સ્નાન કરાવી શિષ્ય પણ સ્નાન કરે છે.આ એજ કપુરીયો કુંડ છે, જયાં કહેવાય છે કે પાલણપીર બાળક સ્વરૂપે પ્રગટ થયા હતાં તેથી જ તો ભકતો અહી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

યાત્રા ગણીને આવતા જતી સતી ભેગા મળી બારમતિ તીરથ કરે છે, અને જયા સતીનાં જોડલાના કાંકણનો અનોખો મહીમા છે.સાડા ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પાલણપીરે કથેલા (૨૪) લાખ વેદ ગુરૂનાં મુખેથી સાંભળવા એ પણ એક લ્હાવો હોય છે.ત્રીજા દિવસે ગતગંગા વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી સતની ચોરીએ જાય છે અને ત્યાં કાંકરાના ઘર બનાવી ગુરૂને અપર્ણ કરે છે. પછી ગતગંગા સાંજ ઢળતા ઢળતા હડમતીયા ગામના પાદરમાં આવેલ સતનાં ખાંભાની પરિક્રમા કરી ગતગંગા આપાની મેડી તરફ રવાના થાય છે.
શ્રી પાલણપીરના સમાધિ સ્થળ આપાની મેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચોથા દિવસે બપોર થતા જ આ મેળો પુરો થાય છે…સાવ જુદાં અને અનોખા આ ધાર્મિક મેળાવળાંમાં મોજશોખ કરવાનાં મોટાં ફજેત કે ચકરડી હોતા નથી.પાલણદાદાનાં અનુયાયીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા હોય દર વર્ષે દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે..જેથી મેળાનો માહોલ પણ ખુબ જ વધતો જાય છે..

ગત વર્ષ 2017 માં પાલણપીર સેવા સમિતિનાં સંયોજક નાગજીભાઈ ચૌહાણ દ્વારા પાલણભૂમિ પર દલિત શક્તિ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં ગુજરાત ભર થી હજારો આગેવાનોએ ઉપસ્થિત રહી સંમેલન અંતર્ગત યોજેલાં સમૂહલગ્નમાં 10 દિકરીઓને આશીર્વચન આપ્યાં હતાં..

હાલ પાલણપીર મેડી આસપાસ વિકાસ માટે તેમજ મેળા વ્યવસ્થાપન કાર્ય માટે પાલણપીર સેવા સમિતિ પ્રયત્નશીલ છે..અનેક દાતાઓ દ્વારા પાણીનાં પરબ, ડૉ.આંબેડકર ભવન, ભોજનશાળા વગેરે માટે સૂચનો, અનુદાન આવી રહ્યાં છે.પાલણપીર સેવા સમિતિ સર્વ ગત ગંગાને પાલણધામમાં 16,17,18 સપ્ટેમ્બર મેળોત્સવમાં પધારવાં ભાવભર્યું આમંત્રણ પાઠવે છે…

Back to top button
error: Content is protected !!