Rajkot: “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” માટે “સ્વૈચ્છિક સંસ્થા” અને “સામાજિક કાર્યકર”એ અરજી કરવા બાબત

તા.૨૨/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર રાજ્યની મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણને લગતા શ્રેષ્ઠ કામ કરતી “સ્વૈચ્છિક સંસ્થા” અને “સામાજિક કાર્યકર”ને એનાયત કરવામાં આવે છે.
આ “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” ઈચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ સામાજિક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજિક/આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃતિ કરતી હોય તેમને આપવામાં આવે છે. આ પુરસ્કાર મેળવવા માટે સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા સામાજિક કાર્યકરે આધાર પુરાવા સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ અરજી પત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ www.wecd.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ સંબધિત જિલ્લા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકશે.
આ નિયત અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજીપૂર્વક ભરી નિયત શરતો મુજબ જરૂરી આધાર પુરાવા સાથે અરજી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધીમાં સંબંધકર્તા સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરે તેઓના સંબંધિત જિલ્લા ખાતેની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન-3, બીજો માળ, બ્લોક નં-૨, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે મળે તે રીતે ફરજિયાત આર.પી.એ.ડી.થી મોકલી આપવાનું રહેશે.
કોઈપણ સરકારી અથવા અર્ધસરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહી. ‘ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર’ સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે. પુરસ્કાર માટે પસંદગી/પધ્ધતિ/શરતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારની રહેશે. પુરસ્કાર આપવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી રહેશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.



