MORBI:મોરબી બીમારીથી કંટાળી જોધપર નદી ગામના આધેડે એસિડ પી લેતા મોત નિપજ્યું

MORBI:મોરબી બીમારીથી કંટાળી જોધપર નદી ગામના આધેડે એસિડ પી લેતા મોત નિપજ્યું
મોરબી: તાલુકાના જોધપર નદી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયની શારીરિક વ્યાધિથી પીડાતા એક ૫૧ વર્ષીય આધેડે અકળામણમાં આવી ઝેરી દવા (એસિડ) ગટગટાવી લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી (ઉં.વ. ૫૧) નામના આધેડ છેલ્લા ઘણા સમયથી પગના તળિયાની ગંભીર બીમારીથી પીડાતા હતા. સતત રહેતી પીડા અને બીમારીથી કંટાળી જઈને તેમણે ગત રોજ પોતાના રહેણાંક મકાને એસિડ પી લીધું હતું.સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા એસિડ પી લીધા બાદ તેમની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઝેરી અસર વધુ હોવાથી ટૂંકી સારવારના અંતે સંજયભાઈનું હોસ્પિટલના બિછાને જ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનું પંચનામું કર્યું હતું. પોલીસે હાલ અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી, બનાવ પાછળના અન્ય કારણો અને સંજોગો અંગે તપાસ હાથ ધરી છે. આધેડના અકાળે અવસાનથી દેવમુરારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










