ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ, ૨૬ એપ્રિલે મતદાન, ૨૮ એપ્રિલે પરિણામ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં આજથી જ ‘આદર્શ આચાર સંહિતા’ (Model Code of Conduct) લાગુ થઈ ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલ મુજબ, રાજ્યની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરાશે:
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026 ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026 મતદાનની તારીખ:૨૬ એપ્રિલ રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે અને ૨૮ એપ્રિલના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.આ ચૂંટણી જંગમાં રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે મતદાન યોજાશે.
મહાનગરપાલિકા 15 – નગરપાલિકા 84 -જિલ્લા પંચાયત 35 – તાલુકા પંચાયત 260 ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. આ વખતે 15 મહાનગરપાલિકાઓ અને વધારાની જિલ્લા પંચાયતોનો સમાવેશ થતો હોવાથી જંગ ખરાખરીનો ખેલાશે તેમ મનાય છે. વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજથી આચાર સંહિતા લાગુ પડતી હોવાથી સરકારી નવી જાહેરાતો કે લોકાર્પણના કાર્યક્રમો પર રોક રહેશે.
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત
મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
જિલ્લા પંચાયત: 34
તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)
નગર પાલિકા: 84
મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700
આચાર સંહિતા: આજથી અમલી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
કેટલી બેઠકો પર ચૂંટણી?
15 મહાનગરપાલિકા: 1044 બેઠકો
84 નગરપાલિકા: 2632 બેઠકો
260 તાલુકા પંચાયત: 5271 બેઠકો
34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો
કુલ બેઠકો: 10,039 બેઠકો
ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગર પાલિકાને ‘મહા નગરપાલિકા’નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.











