25 વર્ષમાં ફરી આવશે મહામારી: બિલ ગેટ્સ

વિશ્વના અબજોપતિ અને સૌથી મોટા પરોપકારીઓ પૈકી એક બિલ ગેટ્સ લોકોને આબોહવા પરિવર્તનના જોખમ અને સાયબર હુમલા જેવા મુદ્દાઓ વિશે વારંવાર ચેતવણી આપે છે. જો કે, તેમણે હવે જાહેર કર્યું છે કે અન્ય બે કટોકટી કે, જેની તે સૌથી વધુ ચિંતા કરે છે તે યુદ્ધ અને રોગચાળો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું કે વર્તમાન વૈશ્વિક અશાંતિ ટૂંક સમયમાં મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. આપણે હજી પણ આમાંથી બચી શકીએ છીએ, પરંતુ સંભવતઃ આગામી 25 વર્ષમાં બીજી મહામારી આવશે. ભવિષ્યમાં મહામારી દરમિયાન બિલ ગેટ્સ માટે મુખ્ય પ્રશ્ન એ હશે કે શું વિશ્વ કોવિડ-19 જેવા જોખમ માટે પહેલાં કરતાં વધુ સારી રીતે તૈયાર છે.
બિલ ગેટ્સે મીડિયાને જણાવ્યું હતું કે, “જે દેશનું નેતૃત્વ અને વિશ્વ માટે એક મોડેલ બનવાની અપેક્ષા હતી તે આ અપેક્ષા ઉપર ખરો ઉતરવામાં નિષ્ફળ ગયો છે.” તેમના 2022 પુસ્તક “હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેક્સ્ટ પેન્ડેમિક” માં ગેટ્સે 2020માં મહામારી સામે લડવાની તૈયારીના અભાવ માટે વિવિધ દેશોની સરકારોની ટીકા પણ કરી હતી.
ગેટ્સે આ મહામારી સામે લડવા માટે વિશ્વભરના દેશો માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. આમાં રોગની દેખરેખ અને વેક્સિન રિસર્ચ માટે રોકાણમાં વધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોવિડ-19 વિશે ગેટ્સે ટિપ્પણી કરી, “કોરોના વાયરસ મહામારીએ કેટલાક મહત્ત્વના પાઠ શીખવ્યા છે. દુર્ભાગ્યવશ, તે અપેક્ષાઓ કરતાં ખૂબ ઓછા પડ્યા છે. આપણે હજી પણ સારૂ કરી શકીએ તેમ છીએ, આપણે સંપૂર્ણપણે મહામારીઓ માટે તૈયાર જ નથી, અપેક્ષા છે કે, આગામી પાંચ વર્ષમાં આ સ્થિતિ સુધરશે.”
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડરે કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આગામી પાંચ વર્ષમાં લોકો માટે પરિવર્તનકારી હશે. તેમણે કહ્યું કે નવી ટેક્નોલોજીથી ડરવાની જરૂર નથી કારણ કે તેનાથી નવી તકો ઊભી થશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ કહ્યું કે AI વિકાસશીલ અર્થતંત્રોમાં 60 ટકા નોકરીઓ અને સમગ્ર વિશ્વમાં 40 ટકા નોકરીઓને અસર કરશે.




