MALIYA (Miyana):માળીયાના જુના ઘાટીલા ગામે જીરાના પાકમાં દવા છાટતી વખતે ઝેરી અસર તથા શ્રમિકનું મોત નીપજ્યું

MALIYA (Miyana):માળીયાના જુના ઘાટીલા ગામે જીરાના પાકમાં દવા છાટતી વખતે ઝેરી અસર તથા શ્રમિકનું મોત નીપજ્યું
મોરબી: માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં જીરાના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલા એક પરપ્રાંતીય યુવાનને દવાની ઝેરી અસર થતાં તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જૂના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ રહીને ખેતમજૂરી કરતા સુરસીંગભાઇ રતનભાઇ ડાવર (ઉ.વ. ૩૫) નામના યુવાન શનિવારે વાડીએ જીરાના પાકમાં દવા છાંટી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દવા શરીરમાં ચડી જતાં અથવા શ્વાસમાં જતાં તેમની તબિયત લથડી હતી.
યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ જેતપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવતા માળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. ૩૫ વર્ષીય યુવાનના મોતથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








