Rajkot: રાજકોટમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ૧૪થી ૧૮ નવેમ્બર દરમિયાન બે સ્થળે યોજાશે યોગશિબિર

તા.૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દરેક લોકો ડાયાબિટીસથી મુક્ત થઈને શારીરિક – માનસિક રીતે સ્વસ્થ તેમજ આધ્યાત્મિક જીવન જીવી શકે તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “ડાયાબિટીસમુક્ત ગુજરાત અભિયાન”નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં ૧૪મી નવેમ્બરથી ૧૮મી નવેમ્બર દરમિયાન બે સ્થળે માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજવામાં આવશે.
જે મુજબ, (૧) પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ભારત વિકાસ પરિષદ આનંદ નગર મેઇન રોડ(યોગ કોચ નીતિનભાઈ કેસરિયા નો યોગ વર્ગ) રાજકોટ અને (૨) માયાણીનગર, મહુડી રોડ, સરદાર પટેલ ભવન ખાતે આ શિબિર યોજાશે. જેમાં સવારે છથી આઠ વાગ્યા સુધી રોજ યોગ અભ્યાસ કરાવવામાં આવશે.
ડાયાબિટીસની તકલીફ ધરાવતા લોકો આ શિબિરમાં જોડાઈ શકે છે. શિબિરમાં ભાગ લેતા પૂર્વે સહભાગીઓનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ નિષ્ણાતો દ્વારા નિદાન તેમજ યોગ આસન, પ્રાણાયામ, ચિકિત્સા કરવામાં આવશે.
શિબિરમાં ભાગ લેતા પૂર્વે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર સુશ્રી મીતાબેન તેરૈયા (મો.૯૭૧૨૯ ૦૮૨૭૧) તથા સુશ્રી ગીતાબેન સોજીત્રા (મો. ૯૪૨૭૨ ૧૪૬૦૨)નો સંપર્ક કરી શકાશે.




