Rajkot: નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાઈ
તા.૧૫/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર/જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રભવ જોશીના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવાની સાથે સાંસદશ્રી સહિત પદાધિકારીશ્રીઓ દ્રારા અન્ન વિતરણ, ગ્રાહક સુરક્ષા બાબતે રજૂ કરાયેલ પ્રશ્નોનુ નિરાકરણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ નિયમિત અને વિક્ષેપ વગર કરવા, નિયમિત દુકાનોની તપાસ કરવી, વિવિધ વિસ્તારોમાં વન નેશન-વન રેશનના કેમ્પ યોજવા વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ થકી થતા અનાજ વિતરણની વિગતો, ઘઉં, ચોખા, ખાંડ, બાજરી સહિતના પુરવઠાનું વિતરણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે થયેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી.
સાંસદશ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના પદાધિકારીઓ દ્રારા અધિકારીઓને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતે માર્ગદર્શન આપી જરૂરિયાતમંદ એક પણ લાભાર્થી સરકારશ્રી દ્વારા વિતરણ થતાં અનાજના લાભથી વંચિત ન રહે તે જોવા તાકીદ કરી હતી.
બેઠકમા ભાયાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી રેખાબેન, સમિતિના સભ્યશ્રી મનોજભાઇ રાઠોડ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ, શ્રી દિપાબેન કોરાટ સહિત સભ્યશ્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.